Murudeshwar Mahadev Temple: Religious Significance, Information & 3D & 360° HD View of Murudeshwar Mahadev Temple-Karnataka
મુરુદેશ્વર મહાદેવ મંદિર: મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટકનું ધાર્મિક મહત્વ, જાણકારી તથા 3D & 360° HD View
મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવની પ્રતિમા, કર્ણાટક
મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવ પ્રતિમા, કર્ણાટકની 360° વર્ચ્યુઅલ રિયાલિટી ટૂર જુઓ અને શેર કરો.
⇛ ચાલો, અહીં આ આર્ટીકલમાં મુરુદેશ્વરના મંદિરની વિગતે વાત કરીએ.
મુરુદેશ્વર મંદિર એવા મંદિરોમાંનું એક છે જે પ્રાચીન કાળનું હોવા છતાં તદ્દન સમકાલીન લાગે છે. આ મંદિર ભગવાન શિવના એક સ્વરૂપ મુરુદેશ્વરની પૂજા માટે સમર્પિત છે. એની ઉંચાઈ 37 મીટર છે. ભારતમાં શીવજીનું આ સૌથી ઉંચું સ્ટેચ્યુ છે. આ મંદિર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. મંદિરનું પ્રવેશદ્વાર (ગોપુરમ) તો શિવજીના સ્ટેચ્યુ કરતાં પણ ઉંચું છે. મંદિર સંકુલના પ્રવેશ પર આવેલ 20(વિસ) માળનું ગોપુરમ આશરે 237.5 ફૂટ ઊંચું છે. દક્ષિણ ભારતનાં બધાં મંદિરોને ગોપુરમ હોય છે, પણ મુરુડેશ્વરનું ગોપુરમ ખૂબ જ ભવ્ય છે. ગોપુરમ પર દેવદેવીઓનાં ચિત્રો અને કોતરણી મનમોહક છે. ગોપુરમના પ્રવેશ આગળ કોન્ક્રીટના બનેલા બે મોટા ફુલ સાઈઝના હાથી મૂકેલા છે, પ્રવાસીઓનું તે તરત જ ધ્યાન ખેંચે છે. અને તેને રાજા ગોપુરમ કહેવામાં આવે છે. એક ખાસ વાત એ છે કે ગોપુરમમાં લિફ્ટ બેસાડેલી છે, તે ગોપુરમની ટોચે લઇ જાય છે. ટોચ પરથી દેખાતું શિવજીનું સ્ટેચ્યુ અને વિશાળ દરિયાનું દ્રશ્ય બહુ જ ભવ્ય લાગે છે. મંદિરની સૌથી રોમાંચક બાબત એ છે કે ભગવાન શિવની પ્રતિમાનું મનોહર દૃશ્ય સાથે સમુદ્ર કિનારાના આકર્ષક દૃશ્યો છે. મંદિરની તળેટીમાં શ્રી રામેશ્વરને સમર્પિત મંદિર આવેલું છે. અહીં આવતા પ્રવાસીઓ શીવનું સ્ટેચ્યુ, ગોપુરમ અને બીજાં શિલ્પો જોઇને છક થઇ જાય છે. મુરુડેશ્વર, ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર 90 કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુદેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે.
ગોપુરમમાંથી મદિર સંકુલમાં પેઠા પછી મુખ્ય મંદિર આવે છે. એમાં મુરુદેશ્વર ભગવાન બિરાજે છે. કહે છે કે લંકાનો રાજા રાવણ, શીવજીને પ્રસન્ન કરી, તેમની પાસેથી આત્મ લીંગ મેળવી, લંકા પાછો ફરી રહ્યો હતો ત્યારે લીંગનો એક ટુકડો અહીં રહી ગયો હતો. લીંગનો આ ટુકડો અત્યારે પણ મંદિરમાં મોજુદ છે અને તે જમીન પર બે ફૂટ ઉંડા ખાડામાં રાખેલું છે. જે ભક્તો ખાસ પૂજા જેવી કે અભિષેક, રુદ્રાભિષેક, રથોત્સવ વગેરે કરે છે, તેમને, પૂજારી ગર્ભગૃહમાં ખાડાની નજીક ઉભા રાખી, તેલના દીવાના અજવાળે લીંગનાં દર્શન કરાવે છે. બધા લોકો આ લીંગનાં દર્શન નથી કરી શકતા.
મંદિરનું શિખર ખૂબ જ શોભાયમાન છે. બહારથી આખું મંદિર સુધારીને સરસ બનાવ્યું છે, પણ અંદરનું ગર્ભગૃહ અને રચના જૂની સ્ટાઈલ પ્રમાણેનાં જ જાળવી રાખ્યાં છે.
મુરુદેશ્વર ભગવાનનાં દર્શન કર્યા પછી સૌથી વધુ આકર્ષણ શિવજીના સ્ટેચ્યુનું છે. આ સ્ટેચ્યુ ઘણે દૂરથી પણ દેખાય છે. અહીં નજીકથી તો તે ઘણું જ મોટું લાગે છે. વ્યાઘ્રચર્મ પર બિરાજેલા શિવજી, હાથમાં ડમરું અને ત્રિશુલ, ગળામાં નાગ, માથે જટા – એવી મૂર્તિને જોઈ દરેકના મનમાં ભક્તિભાવ પ્રગટે છે. બેઘડી જોયા જ કરવાનું મન થાય છે. સ્ટેચ્યુની સામે નંદી પોતાના સ્થાન પર શોભે છે. સ્ટેચ્યુની નીચે ગુફા છે, એમાં મંદિરના ઈતિહાસને લગતું એક મ્યુઝીયમ છે.
⇛ મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટક: મંદિરના અલગ અલગ બાજુથી HD કવોલીટીમાં અહીંયા નીચે આપેલ લીંક પરથી નિહાળો.
💥 મુરુદેશ્વર મહાદેવ મંદિરની અદભુત ફોટોગ્રાફી.... (FULL HD) 🙏
👉 મુરુદેશ્વર મહાદેવ મંદિરના આ ફોટો GIGAPIXEL કેમેરાથી પાડેલા છે. બાજુ બદલતા ચારેબાજુના દર્શન કરી શકસો. ZOOM કરતા સાવ જીણી કોતરણી અને નકશી પણ ચોખ્ખી દેખાશે.
👉 મુરુદેશ્વર મહાદેવ મંદિરના રુબરુ દર્શન કરવા જશો તો પણ કલાકારીગરી આટલી ક્લિયર અને નજીકથી નહિ દેખાય.
⇛ Murudeshwar Mahadev Temple-Karnataka: See different sides of the temple in HD quality.
⇛ મુરુદેશ્વર મંદિરનીપૂજા-અર્ચનાનો સમય :
દર્શનનો સમય- સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
પૂજાનો સમય- સવારે 6-30 વાગ્યાથી સવારે 7-30 વાગ્યા સુધી
રૂદ્રાભિષેકમ- સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
બપોરની પૂજાનો સમય- બપોરે 12-15 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે
દર્શનનો સમય- બપોરે 3 વાગ્યાથી રાતે 8-15 વાગ્યા સુધી
રૂદ્રાભિષેકમ- બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી
સાંજની પૂજાનો સમય- સાંજે 7-15 વાગ્યાથી 8-15 વાગ્યા સુધી
⇛ મુરુદેશ્વર મંદિરનું દૃશ્ય ખૂબ જ સુંદર છે
શિવજીનું આ સ્ટેચ્યુ તથા ગોપુરમ આર.એન.શેટ્ટી નામના એક વેપારી ભક્તે બનાવડાવ્યું છે. એને બનાવતાં બે વર્ષ લાગ્યાં છે અને પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સ્ટેચ્યુ એવી રીતે બનાવ્યું છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે અને તેનાથી તે ચમકે.
સ્ટેચ્યુના પાયા આગળ બીજાં બે મંદિર છે. એક છે રામેશ્વર લીંગ. અહીં પણ પૂજા થઇ શકે છે. બીજું શનેશ્વર મંદિર છે. મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. એમાં બીજાં ઘણાં સ્થાપત્યો છે. શીવજીની બીજી એક મૂર્તિ છે. એક જગાએ ઘોડા જોડેલો સૂર્ય ભગવાનનો રથ છે. બીજી એક જગાએ કૃષ્ણ ભગવાન સારથિ બનીને અર્જુનનો રથ હાંકે છે. આ ઉપરાંત પણ બીજા પ્રસંગોનાં શિલ્પો કંડારેલાં છે. પ્રવાસીઓને આ બધું ફરી ફરીને જોવાની મજા આવે છે. મંદિરમાં ‘પ્રસાદ’ લેવાની વ્યવસ્થા છે. પછી જે ભેટ આપવી હોય તે આપી દેવાની. મંદિરની પાછળ એક કિલ્લો છે. કહે છે કે માયસોરના રાજા ટીપુ સુલતાને આ કિલ્લો સુધારાવ્યો હતો.
મંદિરની બાજુમાં જ દરિયો છે. અહીંનો બીચ ઘણો લાંબો અને સુંદર છે.એટલે અહીં રમવાનું અને ચાલવાનું સરસ ફાવે એવું છે. લોકો દરિયામાં નહાય છે અને બોટીંગની મજા માણે છે. ગામના માછીમારો દરિયામાં માછલાં પકડતા હોય છે. દરિયા કિનારે જાતજાતની દુકાનો છે. રમકડાં, ખાણીપીણી, કપડાં અને ઘણું બધું મળે છે.
⇛ મુરુદેશ્વર મંદિરે કેવી રીતે પહોંચવું ?
હવાઈ માર્ગ(પ્લેન) દ્વારા: મેંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુરુદેશ્વરથી લગભગ 153 કિમી દૂર છે. આ દેશના બધા જ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર પહોંચવા માટે એરપોર્ટથી ટેક્સી પણ મળી શકે છે.
રેલ માર્ગ દ્વારા: મુરુદેશ્વર રેલવે સ્ટેશન મેંગ્લોર અને મુંબઈ સાથે જોડાયેલું છે. નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન મેંગ્લોર છે અને તે ભારતના બધા મુખ્ય શહેર સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મંદિર 2 કિમી દૂર છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મુરુદેશ્વર મંદિર બસ અને ઓટો-રિક્શા દ્વારા પહોંચી શકાય છે.
સડક માર્ગ દ્વારા: અંગત અને કર્ણાટક સરકારની બસ મુંબઈ, કોચ્ચિ અને બેંગલુરુ સાથે મુરુદેશ્વર માટે બસ સેવા મળી શકે છે. મુરુદેશ્વર એનએચ 17 પર આવેલું છે જે મુંબઈને કોચ્ચિ સાથે જોડે છે, બંને શહેરોની વચ્ચે નિયમિત બસ સેવા શરૂ રહે છે.
અહીંથી ૧૫ કી.મી. દૂર નેત્રાની નામનો ટાપુ છે. લોકો ત્યાં પણ ફરવા જતા હોય છે. ત્યાં ડાઈવીંગ કરવાની સગવડ છે.
મુરુદેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. આ મંદિરથી આકર્ષાઈને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. અહીં આવવા માટે વર્ષનો કોઈ પણ સમય અનુકૂળ છે. મુરુદેશ્વરથી ઉડુપી 100 કી.મી અને કારવાર 120 કી.મી. દૂર છે